GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

વ્યસન મુક્તિ : તમાકુ

આખા વિશ્વમાં દર વર્ષે આશરે ત્રીસ લાખ લોકોનું મોત તમાકુના સેવનથી થાય છે; અને જો તમાકુનો વપરાશ આ રીતે વધતો રહેશે તો આવતાં ત્રીસ વર્ષમાં તમાકુના કારણે થતાં વા(ર્ષક મૃત્યુનો આંક સિત્તેર લાખને આંબી જશે! જ્યારે એકાદ મોટો વિમાન કે ટ્રેન અકસ્માત થાય ત્યારે આખા જગતમાં હો હા મચી જાય છે, પણ ભાગ્યે જ કોઇને ખબર હશે કે આખા વર્ષ દરમ્યાન થતા ટ્રાફિક અકસ્માતમાં કમોતે મરતા લોકો કરતાં પાંચ ગણા વધુ લોકો તમાકુથી કમોતે મરે છે. દુર્ભાગ્યે ટ્રાફિક અકસ્માતથી મરનાર વ્યક્તિઓની જેમ તમાકુથી કમોતે મરનાર વ્યક્તિની નોંધ પણ કોઇ વર્તમાનપત્ર આપતું નથી, ન તો કોઇ આવા ફોટા સાથે શ્રદ્ધાંજલિ આપે છે!

તમાકુ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. તમાકુને ચાવો તો મોઢા અને ગળામાં, સુંઘો તો નાકમાં અને ફૂંકો તો ફેફસાંમાં ચેપથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો ઉદભવે છે.

રોજની એક પેકેટ સિગરેટ પીનાર માણસ આખા વર્ષમાં આશરે ૭૦,૦૦૦ કશ મારે છે અને એટલે ૭૦,૦૦૦ વખત એ વ્યક્તિનાં મોં-નાક, ગળું અને ફેફસાં સિગરેટમાંથી નીકળતા કાતિલ ઝેરના સંપર્કમાં આવે છે. વર્ષો સુધી આવું કાતિલ ઝેર ઘોળ્યા પછી કેન્સર જેવા રોગો ન થાય તો જ નવાઇ ! દરેક બીડી-સિગરેટ માણસની આવરદામાં પાંચેક મિનિટનો ઘટાડો કરતી જાય છે! બીજા શબ્દોમાં કહીએ તો, એક વ્યક્તિ બીડી-સિગરેટ ફૂંકવા પાછળ જેટલો સમય બગાડે છે, લગભગ એટલો જ બીજો સમય એની જિંદગીમાંથી આ બીડી-સિગરેટ ફૂંકી મારે છે! તમાકુથી થતા રોગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે અને આવતાં વીસેક વર્ષમાં એનાથી થતી તકલીફોનું પ્રમાણ ઝાડા અને એઇડ્સ જેવી બીમારી કરતાં પણ વધી જશે જે સાથેના ગ્રાફમાં દર્શાવ્યુ છે.

તમાકુનો વપરાશ કરનારાઓમાંથી અડધોઅડધ લોકોના મોતનું કારણ તમાકુ જ હોય છે. જો વિશ્વમાં એક પણ માણસને બીડી-સિગરેટ ફૂંકવાની કુટેવ ન હોત તો વિશ્વમાં કેન્સરનું પ્રમાણ આજે છે એના કરતાં અડધું થઇ જાત. થોડાં વર્ષો પહેલા ભારતમાં આશરે ત્રીસ હજાર વ્યક્તિઓનો દશ વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવેલો આ અભ્યાસનું તારણ એવું નીકળ્યું કે મોં-જીભ અને ગળાના કેન્સરના જેટલા દર્દી હતા એમાંથી સમ ખાવા પૂરતોય એક પણ દર્દી એવો ન હતો જેને કોઇને કોઇ પ્રકારે તમાકુનું વ્યસન ન હોય!

આપણા મનમાં કેન્સરનો જેટલો 'હાઉ છે એનાથી દસમાં ભાગનો 'હાઉ પણ તમાકુ માટે નથી! ખરેખર જરૂર છે તમાકુથી બચવાની - તમાકુનો વપરાશ બંધ થતાં કેન્સર તો આપોઆપ બંધ થઇ જશે. કેન્સર જેવા જીવલેણ રોગની હજી દવા પણ નથી શોધાઇ અને આ જ કેન્સરને ખાત્રીપૂર્વક ઉગતો જ અટકાવી શકાતો હોય ત્યારે માત્ર ઘડી બે ઘડીની મોજ માટે એને નોતરું આપવા જેટલી મૂર્ખામી બીજી કઇ હોઈ શકે?

તમાકુથી માત્ર કેન્સર જ થાય છે એવું નથી. તમાકુના કોઇ પણ પ્રકારના વ્યસનથી થતાં અપમૃત્યુમાંથી અડધો અડધ તો હ્રદયરોગનો શિકાર બન્યા હોય છે. બીડી-સિગરેટ ન પીતા માણસ કરતાં બીડી-સિગરેટ પીનારા માણસને હ્રદયરોગ થવાની શક્યતા ૬૦-૭૦% વધારે રહે છે. વળી, હ્રદયની જે બીમારી અન્ય લોકોમાં મોટી ઉંમરે જોવા મળે છે, તે તમાકુના વ્યસનીઓમાં ૩૫ થી ૫૪ વર્ષ જેટલી નાની વયે જોવા મળે છે. આમ, ભરયુવાનીમાં હ્રદયરોગથી મૃત્યુ થવાના કિસ્સા પણ તમાકુના વ્યસનીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

સામાન્ય રીતે સ્ત્રીઓમાં હ્રદયરોગનું પ્રમાણ ઓછું હોય છે. હવે સ્ત્રીઓમાં પણ તમાકુનું વ્યસન વધવા લાગ્યું છે, અને સાથોસાથ જ સ્ત્રીઓમાં પણ હ્રદયરોગ અને ફેફસાંના કેન્સરનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. જો સ્ત્રી ગર્ભનિરોધક ગોળીઓ અને સિગરેટ બંને વાપરતી હોય તો હ્રદયરોગ થવાની શકયતા ભયજનક રીતે વધી જાય છે. (અન્ય સ્ત્રીઓ કરતાં હાર્ટએટેકની શક્યતા ૩૦ ગણી વધુ) આ ઉપરાંત સિગરેટથી ગર્ભદ્વારના કેન્સરનું પ્રમાણ વધે છે તેમજ સ્ત્રી અને પુરુષ બંનેની પ્રજનન શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

કેન્સર અને હ્રદયરોગ જેવી ગંભીર જીવલેણ બીમારીઓ ઉપરાંત સિગરેટને કારણે બ્રોન્કાઇટીસ, એમ્ફાઇસીમા (શ્વસનકોષોના નુકસાનથી ફેફસાંનું વધુ પડતું ફુલવું), એસિડિટિ, પેપ્ટક અલ્સર (જઠર - પકવાશયમાં ચાંદાં પડવાં), પેરાલિસિસ નો હુમલો વગેરે અનેક પીડા-દાયક રોગોને નિમંત્રણ મળે છે. કાયમી ખાંસી અને શ્વસનતંત્રમાં વારંવાર થતું ઇન્ફેક્શન (ચેપ) એ બીડી-સિગરેટના વ્યસનીઓ માટે કાયમી ઘટના બની જાય છે. અને આ બધા રોગો પાછળ થતો ખર્ચ, સિગરેટ પાછળ થતા કુલ ખર્ચ કરતાં અનેક ગણો વધી જાય છે.  બીડી-સિગરેટના બે કશ મારવા કે તમાકુવાળા પાનની બે પિચકારી મારવાની કિંમત કેટલી ભારે હોય છે એનો અછડતો અંદાજ પણ આ વ્યસનીઓને નથી હોતો. તમાકુ ધરાવતી વસ્તુઓ (બીડી, સિગરેટ, ગુટખા, પાનમસાલા વગેરે) ખરીદવા પાછળ થતો ખર્ચ તો આખા સમાજને થતા કુલ ખર્ચનો એક નાનો ભાગ માત્ર છે. આ ઉપરાંત, વ્યસનીની માંદગી પાછળ થતો તબીબીખર્ચ, માંદગીને કારણે પડતી રજાઓ અને તકલીફોથી વેડફાતા માનવ-કલાકો, આકસ્મિક આગને કારણે થતું નુકસાન અને વ્યસનમુક્તિ-કેન્દ્રો પાછળ થતા ખર્ચાઓ સમાજ માટે મોટા ભારરૂપ બની જાય છે. જે ઘરમાં વડીલો બીડી-સિગરેટ ફૂંકતા હોય તે ઘરમાં ઉછરી રહેલાં બાળકો અન્ય બાળકોની સરખામણીમાં વધુ માંદાં રહે છે અને આ બાળકોની માંદગી પાછળ ૩૦% વધુ ખર્ચ થાય છે. જો સગર્ભા સ્ત્રીને તમાકુનું વ્યસન હોય તો કાચો ગર્ભ પડી જવાની, ગર્ભાશયમાં જ શિશુનું મૃત્યુ થવાની કે જન્મ્યા બાદ તુરંત મૃત્યુ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. વળી, જો બાળક જીવિત જન્મે તો પણ એ બાળકનાં વજન, ઊંચાઈ અને પરિપકવતા અન્ય બાળક કરતા ઓછા જ રહે છે. બાળકના લાંબા ગાળાના શારીરિક અને માનસિક વિકાસમાં પણ સગર્ભાવસ્થા દરમ્યાન અને તે પછી પણ સિગરેટ પીતા રહેવાથી વિક્ષેપ પડી શકે છે. સિગરેટ પીતા રહેવાનો તમારો શોખ કે કુટેવ તમારા બાળકને બીજા બાળકોથી નીચું દેખાડવામાં કારણભૂત બની શકે છે. ટૂંકમાં, બીડી-સિગરેટ-તમાકુ શરીરને, કુટુંબને અને સમાજને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ દૂષણને ઊગતું જ ડામવું જોઇએ. દેખાદેખી, શોખ, ફેશન કે ટેન્શનથી દોરવાઇને કાતિલ રોગો કરનાર તમાકુરૂપી ઝેરને કદી હોઠે લગાવવાની ભૂલ ન કરશો.

    1. તમાકુથી ઉદભવતા રોગોની યાદી

કેન્સર : ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર.
શ્વસનમાર્ગના રોગો : બ્રોન્કાઇટીસ, એમ્ફાઇસીમા, વારંવાર શ્વસનમાર્ગનો ચેપ, અસ્થમા (દમ)નો હુમલો નોતરવો.
હ્રદયના રોગો : એન્જાઇના પેકટોરીસ, હાર્ટએટેક, એથેરોસ્કેલેરોસીસ.
પાચનતંત્રના રોગો : એસિડિટિ, પેપ્ટીક અલ્સર, મોં માં ચાંદાં પડવાં, દાંતને નુકસાન.
ચેતાતંત્રના રોગો : પેરાલિસિસનો હુમલો; અંધત્વ.
પ્રજનનતંત્રના રોગો : પ્રજનનશક્તિમાં ઘટાડો, ઓછા વજનવાળું નબળું બાળક, ખોડખાંપણવાળું બાળક, મંદબુદ્ધિનું બાળક.

    2. બીમારી અને મોત નોતરતી તમાકુની વિવિધ વાનગીઓ (?)


ફૂંકવાની તમાકુ


-સિગરેટ
-બીડી
- સિગાર (ચિરૂટ, સ્ટ્રુમ્પેન, ચુટ્ટા, ધુમતી)(તમાકુ આથવીને વપરાય)
- પાઇપ (હુકલી, સુલ્પા, સિલમ)(પાણીમાં પસાર થઇને ધુમાડો આવે)

- હુકલા (ગોઝા, નારધીલ)
નોંધ: ચુટ્ટા અને ધુમતી સળગતો ભાગ મોંમાં રાખીને ફૂંકવાની આદત ગ્રામીણ ભારતની ઘણી સ્ત્રીઓમાં જોવા મળે છે.

ચાવવાની તમાકુ

- તમાકુના તાજા પાન ચાવવા
- નાગરવેલના પાનમાં સુકી તમાકુ નાંખીનેે ખાવી (કદીપુડી, ગુન્ડી, કડપમ, ઝરદા, પત્તીવાલા, કિમામ.)
- પાન મસાલા, ગુટખા
- માવા
- ખૈની

સુંઘવાની કેઘસવાની તમાકુ

- છીંકણી
- ક્રીમીસ્નફ (ઇપ્કો)
જે ઘરમાં વડીલો બીડી-સિગરેટ ફૂંકતા હોય તે ઘરમાં ઉછરી રહેલાં બાળકો અન્ય બાળકોની સરખામણીમાં વધુ માંદાં રહે છે.
સિગરેટ પીતા રહેવાનો તમારો શોખ કે કુટેવ તમારા બાળકને બીજા બાળકોથી નીચું દેખાડવામાં કારણભૂત બની શકે છે.

    3. પેસિવ સ્મોકિંગ - એકની મજા બીજાને સજા

જેણે બીડી-સિગરેટ ન પીવી હોય એવા માણસને ફરજિયાત બીજાની બીડી-સિગરેટના ધુમાડા શ્વાસમાં લેવા પડે એ સ્થિતિને પેસિવ સ્મોકિંગ કહેવાય છે. આવા પેસિવ સ્મોકિંગનો અનુભવ લગભગ દરેક જણને બસ, ટ્રેન, થીયેટર, હોટલ, ઓફિસ વગેરે જગ્યાઓએ થયો જ હશે. આ રીતે બીજાની સિગરેટના ધુમાડા શ્વાસમાં જવાથી આરોગ્યને ખૂબ મોટું નુકસાન થઇ શકે છે. બીડી-સિગરેટ ફૂંકવાનો આનંદ કોઇ લે અને એનું પરિણામ બીજાએ ભોગવવું પડે એવો ઘાટ થાય.

સિગરેટના ધુમાડામાં બે જાતના પ્રવાહ હોય છે એક મુખ્ય પ્રવાહ- જે સિગરેટ ફૂંકનાર વ્યક્તિએ કશ ખેંચીને પછી બહાર કાઢયો હોય છે અને બીજો સાઇડ પરનો ફાંટાવાળો પ્રવાહ - જે સિગરેટના બળતા ભાગ પરથી સીધો જ વાતાવરણમાં ભળે છે. તમાકુ બળવાથી ઉત્પન્ન થતાં હાનિકારક પદાર્થો આ બંને પ્રવાહમાં હોય છે. પરંતુ સાઇડ પરના પ્રવાહમાં એનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તમાકુમાંથી નીકળતું ઝેરી રસાયણ નિકોટીનનો ૭૫ ટકા ભાગ આ સાઇડ પરના પ્રવાહમાં જ હોય છે. એટલે કે સિગરેટ પીનાર વ્યક્તિ પોતાના શ્વાસમાં તો માત્ર ૨૫ ટકા નિકોટીન જ લે છે અને બાકીનું ૭૫ ટકા નિકોટીન ધુમાડા વાટે અન્યોના શ્વાસમાં જાય છે.

બાજુ પરના (ફાંટાવાળા) પ્રવાહમાં મુખ્ય પ્રવાહ કરતાં નીચેના પદાર્થોનું વધુ પ્રમાણ જોવા મળે છે- નિકોટીન (૨.૭ ગણું વધારે); કાર્બન મોનોકસાઇડ (૨.૫ ગણું વધારે) એમોનિયા (૭૩ ગણું વધારે); બેન્ઝોપાઇરીન નામનો કેન્સર કરતો પદાર્થ (૩.૪ ગણો વધારે). સરેરાશ ઓરડામાં ધૂમ્રપાનથી થતાં કુલ ધુમાડાના ૮૫ ટકા ધુમાડો ફાંટાવાળા પ્રવાહથી બને છે. ધૂમ્રપાન-રહિત વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ૨ પી.પી.એમ. જેટલું હોય છે જે ધૂમ્રપાન કરવાથી ૧૦ પી.પી.એમ. ની આસપાસ થઇ જાય છે.

આ પેસિવ સ્મોકીંગને કારણે સિગરેટ ન પીનાર પણ માત્ર એના ધુમાડાના સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ કેન્સર થવાની શકયતામાં ૩૦ થી ૩૫ ટકા જેટલો વધારો થઇ જાય છે. આ જ રીતે ધુમાડાને કારણે સિગરેટ ન પીનાર વ્યક્તિને હ્રદયરોગ થવાની શકયતા પણ ૩૫ ટકા જેટલી વધી જાય છે. એક જ ઓફિસમાં કામ કરનાર બે વ્યક્તિમાંથી એક સિગરેટ પીતી હોય અને બીજી વ્યક્તિ સિગરેટ ન પીતી હોય તો પણ લાંબે ગાળે પેસિવ સ્મોકીંગને કારણે સિગરેટ ન પીનાર વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ ઘેરી અસર પડે છે.

આ જ રીતે એક ઘરમાં એક વ્યક્તિ સિગરેટ પીતી હોય તો અન્ય વ્યક્તિઓને પણ એની આડઅસર થાય છે. જે ઘરમાં બાળકો હોય ત્યાં મા-બાપમાંથી કોઇ એક વ્યક્તિ પણ બીડી-સિગરેટ પીતી હોય એ ઘરમાં બાળકોનો વિકાસ અન્ય બાળકો કરતાં ઓછો ઝડપી થાય છે. આવા બાળકને વારંવાર બ્રોન્કાઇટીસ, ન્યુમોનિયા શરદી-ખાંસી, કાન પાકવો વગેરે અનેક બીમારીઓ થયા જ કરે છે. નવજાત શિશુના અચાનક મૃત્યુ માટે આ ધુમાડા આંશિક રીતે જવાબદાર હોય એવું જાણવા મળ્યું છે.

આમ, બીડી-સિગરેટ ન પીનારાઓ માટે એનો ધુમાડો એ સાદા 'ન્યૂસન્સથી ઘણું વધારે ખતરારૂપ છે. કોઇની 'મજા માટે આપણે શા માટે 'સજા ભોગવવી એવો પ્રશ્ર દરેક જાગૃત નાગરિકને થવો જોઇએ. દરેક જાહેર સ્થળોએં બીડી-સિગરેટ ન પીવાવાળા લોકોએ સંગઠિત થઇને કોઇ વ્યક્તિ બીડી-સિગરેટ ન જ પીવે એવું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કોઇ તમને પૂછે કે 'હું અહીં સિગરેટ પીઉં તો તમને કંઇ વાંધો નથી ને? તો આ પ્રશ્રનો સૌથી નમ્ર ઉત્તર હંમેશ માટે 'હા! મને વાંધો છે એવો જ હોવો જોઇએ એમ તમને નથી લાગતું? આપણા જોખમે કોઇના શોખ પોષવાનું તો ન જ પરવડે ને!

    4. બાળકો અને તરૂણોને તમાકુથી બચાવો

તમાકુની પેદાશોના અખતરા કરવાની શરૂઆત બાળપણમાં અને કિશોરાવસ્થામાં જ થઇ જાય છે. તમાકુનું સેવન કરનારાઓ પૈકી આશરે ૬૦ ટકાથી વધુ લોકોએ એની શરૂઆત ૧૪ વર્ષથી નાની વયે કરી હોય છે. અન્ય કયાંક બીડી સિગરેટનો ધુમાડો બાળકના શરીરમાં જતો હોય છે અરે એક વર્ષથી નાની ઉંમરના બાળકના લોહી પેશાબમાં તમાકુમાંથી મળતા રસાયણો(નિકોટીન)ની હાજરી જણાઇ છે! આવા બાળકો સ્વાભાવિક પણે જ જાણ્યે અજાણ્યે તમાકુના ગુલામ બનવા માંડે છે અને તક મળતાં જ જાતે તમાકુના સેવનનો અખતરો કરે છે.

મા-બાપના ધૂમ્રપાનને કારણે બાળકો ઘણી બીમારીઓ ભોગવે છે. સગર્ભાવસ્થા દરમ્યાન ધૂમ્રપાન કરવાથી કસુવાવડ થવાની, ખોડખાપણવાળું મંદબુદ્ધિનું બાળક જન્મવાની શકયતા ખૂબ વધી જાય છે. એક વર્ષથી નાના બાળકની માતા ધૂમ્રપાન કરતી હોય તો બાળકને ન્યુમોનિયા અને બ્રોન્કાઇટીસ થવાની શકયતા વધી જાય છે. મોટી ઉંમરનાં બાળકોમાં પણ માંદગીને કારણે શાળામાંથી રજા વગેરેનું પ્રમાણ જે ઘરમાં મા-બાપ ધૂમ્રપાન કરતા હોય ત્યાં વધુ હોય છે. મા-બાપના ધૂમ્રપાનને કારણે બાળક ભણવામાં અન્ય વિદ્યાર્થીઓથી પાછળ રહે છે.

શાળામાં ભણતાં બાળકો જ તમાકુનુ સેવન શરૂ કરવામાં મુખ્ય હોય છે. આજુબાજુની સંગત, માનસિક અનિશ્ચિતતા, શોખ, વટ કે અખતરો વગેરે અનેક કારણોસર બીડી-સિગરેટ તમાકુનો વપરાશ બાળપણથી શરૂ થઇ જાય છે. લલચામણી જાહેરાતો અને ક્રિક્રેટ જેવી સ્પર્ધાઓ સ્પોન્સર કરીને કુમળી વયનાં બાળકોને બીડી-સિગરેટ તમાકુનાં બંધાણી બનાવી દેવાનું અઘરું નથી. સિગરેટ પીવાનો અખતરો કરનારાઓમાંથી અડધોઅડધ લોકો કાયમ માટે એના બંધાણી થઇ જાય છે. આ હકીકત બાળકો નથી જાણતાં પરંતુ સિગરેટ કંપનીઓ બહુ સારી રીતે જાણે છે.

અન્ય એક અભ્યાસમાં નોધાયું છે કે જે બાળકના મા-બાપ બીડી, સિગરેટ પીતાં હોય એ બાળક બીડી-સિગરેટનું સેવન કરે એવી શકયતા અન્ય બાળકો કરતા વધારે હોય છે. જો બાળકને એવી ખબર હોય કે એનાં મા-બાપ બીડી-સિગરેટને ધિકકારે છે તો એ બાળક બીડી, સિગરેટ પીએ એવી શકયતા નોંધપાત્ર પ્રમાણમાં ઘટી જાય છે.

બાળકોને બીડી-સિગરેટ તમાકુના બંધાણ વગર ઉછેરવાં હોય તો આ બધી વસ્તુઓની સામાજિક સ્વીકૃતિ ન રહેવી જોઇએ તમાકુ બીડી સિગરેટ એ એક કુટેવ છે અને જાહેરમાં એનું સેવન કરતા લોકોને શરમ આવે એવું વાતાવરણ ઊભું થવું જોઇએ. બાળકોને મા-બાપ પાસેથી માનસિક હૂંફ દરેક પરિસ્થિતિમાં મળતી રહેવી જોઇએ. લલચામણી જાહેરાતો અને રમતગમત સ્પર્ધાની તમાકુ કંપની દ્વારા થતી સ્પોન્સરશીપ પર પ્રતિબંધ મૂકવો જોઇએ. ૧૮ વર્ષથી નાની વયનાને બીડી સિગરેટ વેચી ન શકાય એવો કાયદો ઘણા દેશોમાં છે, જે વિશ્વવ્યાપી બનાવવો જોઇએ.

જો તમાકુ મુકત બાળપણ જશે તો સમાજમાં લાંબે ગાળે તમાકુનો વપરાશ ઘટશે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. 

સિગરેટ પીવાનો અખતરો કરનારાઓમાંથી અડધોઅડધ લોકો કાયમ માટે એના બંધાણી થઇ જાય છે. આ હકીકત બાળકો નથી જાણતાં પરંતુ સિગરેટ કંપનીઓ બહુ સારી રીતે જાણે છે.

    5. તમાકુ કંપની દ્વારા આયોજિત રમતગમતની સ્પર્ધાઓ

'વીલ્સ કપ ક્રિકેટ ટુર્નામેન્ટને કારણે શાળામાં ભણતાં બાળકોની બીડી-સિગરેટ પીવાની વૃત્તિનો અભ્યાસ તાજેતરમાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો, જેમાં એવું તારણ નીકળ્યુ હતું કે, ૫.૨ ટકા જેટલાં નવમા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોને ટીવી મેચ દરમ્યાન દર્શાવાતી જાહેરખબરને લીધે સિગરેટ પીવાની ઇચ્છા થઇ અને ૩.૧ ટકા બાળકોએ ખરેખર સિગરેટ ('વીલ્સ કંપનીની જ!) ખરીદીને પીધી પણ ખરી. આશ્વર્યની વાત તો એ છે કે, કુલ ૧૯૪૮ વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના (૧૪૮૦) વિદ્યાર્થીઓ જાણતા હતા કે સિગરેટનું વ્યસન દારૂ અને હેરોઇનના વ્યસન જેટલું જ હઠીલું છે અને સિગરેટ ફૂંકવાથી કેન્સર અને હ્રદયના રોગો થાય છે.

જે વિદ્યાર્થીઓએ ટીવી પર મેચ અને જાહેર ખબર જોઇ હતી એ લોકોમાં સિગરેટ ફૂકવાનું પ્રમાણ ટીવી પર મેચ ન જોનાર વિદ્યાર્થીઓ કરતાં નોંધપાત્ર રીતે વધુ હતું. વળી, માત્ર છોકરાઓએ સિગરેટ પીધી એવું પણ નથી. છોકરીઓમાં પણ મેચ જોયા પછી 'વીલ્સ સિગરેટ પીવાનું પ્રમાણ લગભગ છોકરાઓ જેટલું જ (૨.૮ ટકા) હતું: ભારતીય સ્ત્રીઓમાં સામાન્ય રીતે સિગરેટ પીવાનું પ્રમાણ ઘણું ઓછું (પુરુષોની સરખામણીએ) હોય છે તે છતાં, જાહેરખબરોની અસરથી ભોળવાઇને છોકરીઓએ પણ એટલા જ પ્રમાણમાં સિગરેટ પીધી. ત્યારની ભારતીય ક્રિકેટ-ટીમનો કોઇ પણ સભ્ય સિગરેટ પીતો નહોતો. તે છતાં ૧૯૪૮ વિદ્યાર્થીમાંથી ૧૧૧૦ વિદ્યાર્થીઓ માનતા હતાં કે ટીમનો ઓછામાંઓછો એક સભ્ય તો સિગરેટ પીવે જ છે! જે વિદ્યાર્થીઓ એવું માનતા હતા કે ભારતીય ક્રિકેટ ટીમનો ઓછામાં ઓછો એક સભ્ય સિગરેટ પીવે છે એમની સિગરેટ પીવાની શકયતા અન્ય વિદ્યાર્થીઓ કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ હતી.

જે વિદ્યાર્થીઓ એવું માનતા હતા કે સુનિલ ગવાસ્કર સિગરેટ પીવે છે એમણે એવું ન માનતા વિદ્યાથીંઓ કરતાં નોંધપાત્ર વધુ પ્રમાણમાં સિગરેટ પીવાનો અખતરો કર્યો હતો! જે વિદ્યાર્થીઓ એવું માનતા હતા કે સિગરેટ પીવાથી તાકાત વધે છે અને બોલીંગ બેટીંગ-ફીલ્ડીંગ વગેરે સુધરે છે. એવાં બાળકોએ વધુ પ્રમાણમાં સિગરેટ પીધી હતી. ટી.વી. અને એની જાહેરખબર નિયમિત જોનાર બાળકોમાં આવી માન્યતા અન્ય બાળકો કરતાં વધુ પ્રમાણમાં પ્રચલિત હતી!

સિગરેટ પીવાનો અખતરો કરવા માટેના પ્રેરક બળ ઉતરતા ક્રમમાં નીચે મુજબ હતાં.

(૧) સિગરેટ પીવાથી રમવાની તાકાત વધે છે. (૨) ક્રિકેટરો સિગરેટ પીવે છે.
(૩) ટી.વી. પર ક્રિકેટ મેચ જોવી અને
(૪) 'સિગરેટથી આયુષ્ય ઘટે છે

એ બાબતની અજ્ઞાનતા! આમ, સિગરેટ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એવું જાણવા છતાં, ટી.વી. અને એની જાહેરખબર જોવાથી બાળકોનાં કુમળાં મન પર સિગરેટ ફૂંકવાની અદમ્ય ઇચ્છા જાગે છે અને પરિણામે આટલા મોટા પ્રમાણમાં બાળકો સિગરેટના અખતરા કરે છે!

અન્ય એક અભ્યાસ પરથી એવું નિ:શંકપણે સાબિત થયેલું છે કે જેટલી વ્યક્તિ એક વખત પણ સિગરેટ પીવાનો અખતરો કરે છે એમાંથી અડધોઅડધ વ્યક્તિને સિગરેટ પીવાની કાયમી ટેવ થઇ જાય છે! એટલે જો ૩ ટકા બાળકોએ સિગરેટનો અખતરો કર્યો હોય તો એમાંથી અડધા એટલે દોઢ ટકા બાળકો કાયમ માટે સિગરેટના વ્યસની બની જશે. આખે આખી ક્રિકેટ સ્પર્ધા સ્પોન્સર કરવાનો ખર્ચો કંઇ તમાકુ કંપની અમસ્તી તો નહીં જ કરતી હોય ને!! જો એક વખતના ખર્ચથી વર્ષો સુધીના કાયમી ઘરાક તૈયાર થતા હોય તો શું ખોટું છે?

હકીકતમાં કોઇ પણ સિગરેટ કે દારૂની કંપનીને કયારેય કોઇ પણ સ્પર્ધાઓ યોજવા માટે સ્પોન્સરશીપ ન આપવી જોઇએ. આપણા દુર્ભાગ્યે, માત્ર રૂપિયા મેળવવાની શોધમાં ફરતા આયોજકો અને કરોડો રૂપિયાનો ટેક્ષ સિગરેટમાંથી મેળવતી સરકાર સાચા-બૂરાનો પૂરો વિચાર કરતી જ નથી. કરોડો રૂપિયાનો ટેક્ષ કમાવા પાછળ એનાથી અનેકગણા પૈસા સિગરેટને કારણે બગડતા સ્વાસ્થ્યની સારવાર કરવામાં બગાડતી સરકાર સિગરેટ કંપનીની પાવરફુલ લોબી સામે કશું પણ કરવા અસમર્થ છે.

    6. ખતરનાક ગુટખા અને પાનમસાલાઓ

ભારતીય બજારમાં મળતા પાનમસાલાઓનો અભ્યાસ, તાજેતરમાં, અમેરિકાની જહોન હોપ્કીન્સ યુનિવ(ર્સટીમાં કરવામાં આવેલો. ભારતમાં મળતા ૩૭ બ્રાન્ડના પાનમસાલામાંથી ૩૬ બ્રાન્ડમાં એવા પદાર્થો મળ્યા જે શરીરના કોષોનું જનીનિક બંધારણ બદલી શકે અને જેને પરિણામે કેન્સર થઇ શકે!

આવાં ખતરનાક તતત્વોનો ધૂમ વેપાર, સરકારની મીઠી નજર હેઠળ ચાલે છે. સરકાર માને છે કે બીડી - સિગરેટ કે તમાકુયુકત પાનમસાલા પર કયાંક ઝીણા અક્ષરે કાનુની ચેતવણી છપાઇ ગઇ એટલે એમનું કામ પૂરું! લોકોના સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે એ માટે ન તો પૂરતી જાહેરાત સરકાર તરફથી થાય છે ન તો વ્યસનોમાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા લોકોને પૂરતો આધાર મળે છે. પરિણામે એક વખત અજ્ઞાન કે ગેરસમજણને કારણે વ્યસનમાં સપડાયેલ વ્યક્તિ અનેક પ્રયત્નો છતાં જલદીથી વ્યસનમૂકત થઇ શકતો નથી.

આ અભ્યાસથી સરકારની આંખ ઉઘડે તો સારું, અને ત્યાં સુધી લોકોએ તો દરેક પાનમસાલાથી ચેતી જવું જોઇએ. મોઢુ ખૂલી ન શકે એવો રોગ (સબમ્યુકસ ફાઇબ્રોસીસ) થી માંડીને કેન્સર સુધીના અનેક રોગો માટે જવાબદાર પાનમસાલાને દૂરથી જ સલામ કરી દેવી આપણા સૌના હિતમાં છે.

ગુટખામાં રહેલ તમાકુને કારણે આજે આપણા દેશમાં મોં અને ગળાના કેન્સરનું પ્રમાણ બીજા બધા કેન્સર કરતાં ઘણું વધારે છે અને હવે થયેલાં નવા સંશોધનો પ્રમાણે માત્ર તમાકુ જ નુકસાન કરે છે એવું નથી. તમાકુ વગરના ગુટખા પણ મોંને ખાસ્સું નુકસાન પહોંચાડી શકે છે. સોપારી, ચુનો, કાથો અને અન્ય પદાર્થો પણ લાંબે ગાળે મોંની અંદરની ચામડીને નુકસાન પહોંચાડે છે. ઘણા ગુટખાના વ્યસનીઓને, લાંબે ગાળે આજ કારણસર મોં ખોલવામાં તકલીફ ઊભી થાય છે. મોં પૂરું ખુલતું નથી અને દુ:ખાવો થાય છે.

અંગ્રેજીમાં સબમ્યુકસ ફાઇબ્રોસીસ તરીકે ઓળખાતી આ બીમારી ભારતમાં બહુ લોકોમાં જોવા મળે છે અને નિષ્ણાતોના મત પ્રમાણે આ બીમારીનું પ્રમાણ આજકાલ વધતું જાય છે. આ બીમારીને કારણે મોંમાં સહેજ પણ તીખી વસ્તુ જવાથી દુ:ખાવો થાય છે; બળતરા થાય છે; મોં પર પરસેવો થઇ જાય છે. આ ઉપરાંત જીભમાં સ્વાદની અનુભૂતિ ઓછી થાય અથવા વિકૃત સ્વાદ અનુભવાય છે, કડક વસ્તુઓ ચાવી નથી શકાતી, દાંતની સફાઇ કરવાનું અઘરું બને છે, મોં પૂરું ખુલી નથી શકાતું એટલે મોટા કોળિયા ખાઇ નથી શકાતા, મોંની અંદરની ત્વચા ફિક્કી પડી જાય અને સામાન્ય ઇજાથી લોહી નીકળે છે. મોંમાં સફેદ ભાગ થઇ જાય છે જે લ્યુકોપ્લેકીયા તરીકે ઓળખાય છે અને કેન્સરના આગમનની ચાડી ખાય છે.

પોતાનો ધંધો ચાલુ રહે એ માટે જાતજાતની ભ્રામક જાહેરાતો છાપાઓ-હેન્ડબીલો અને પોસ્ટરો દ્વારા કરીને સામાન્ય પ્રજાને દ્વિધામાં મૂકવાના પ્રયત્નો આજકાલ ગુટખા કંપનીઓ કરી રહી છે. સૌથી બેહૂદી અને હાસ્યાસ્પદ દલીલ એવી છે કે ગુટખામાં અનેક આયુર્વેદિક તતત્વો છે જે લેવાં દરેક વ્યક્તિ માટે જરૂરી છે. આ જાહેરાત તો એવા પ્રકારની છે કે ''અમારા ઝેરમાં અતિ મુલ્યવાન આયુર્વેદિક ઓષધીઓ અને ભસ્મો છે જે વ્યક્તિને મહાન બનાવી શકે છે ઝેરમાં હજાર જાતની ઔષધી નાંખો પણ એથી કંઇ ઝેર અમૃતમાં નથી ફેરવાઇ જવાનું! ઝેરથી માણસ મરે કે બીમાર પડે ત્યારે એમાં રહેલી કોઇ ઔષધી એ બીમારી અટકાવી શકવાની નથી. કેન્સર નિષ્ણાતો અને ડેન્ટીસ્ટોનો આટલાં વર્ષોનો અનુભવ કહે છે કે ગુટખા ખાવાથી સબમ્યુકસ ફાઇબ્રોસીસ, લ્યુકોપ્લેકીયા અને કેન્સર જેવી બીમારી થઇ શકે છે અને ગુટખામાં રહેલ કોઇ ઔષધીય તતત્વ આ બીમારી થતી અટકાવી શકતું નથી. ગમે એટલાં ગુણકારી તતત્વો અંદર હોવા છતાં વર્ષોવર્ષ ગુટખાને કારણે થતી તકલીફોથી વધુને વધુ લોકો હેરાન થાય છે એ સત્ય હકીકત છે, જેનેે કોઇ કંપની પડકારી શકે એવી સ્થિતિમાં નથી.

બીજો એક ભ્રામક પ્રચાર એવો કરવામાં આવે છે કે ગુટખામાં મેગ્નેશ્યમ કાર્બોનેટ નામનો પદાર્થ હોય છે જે એન્ટાસિડ તરીકે કામ કરે છે. એક ગુટખામાં કેટલાં પ્રમાણમાં મેગ્નેશ્યમ કાર્બોનેટ કે અન્ય કહેવાતા ગુણકારી તતત્વો છે તે તમને ગુટખાના કોઇ પેકેટ પર કયારેય જોવા નહીં મળે. પણ જોરશોરથી પ્રચાર થાય છે કે ગુટખામાં મેગ્નેશ્યમ કાર્બોનેટ નામનો એન્ટાસિડ પદાર્થ છે. એન્ટાસિડ પદાર્થ એટલે માત્ર એવો પદાર્થ કે જે પેટના એસિડ સાથે જોડાઇને એસિડની અસર ઘટાડે. એસિડિટિ ના દર્દીઓને એન્ટાસિડ પ્રકારની દવા આપવાની જરૂર પડે પરંતુ તંદુરસ્ત માણસે એન્ટાસિડ લેવાની જરૂર નથી અને ન તો એનાથી તંદુરસ્ત માણસને કોઇ ફાયદો થાય છે.

જે વાત ગુટખાની કંપનીઓ સહેલાઇથી ભૂલી જાય છે અને આપણને ભૂલાવવા પ્રયત્નો કરે છે તે એ છે કે ગુટખામાં રહેલ તમાકુ અને અન્ય કેટલાંક પદાર્થો કંઇ ન હોય તેમાંથી એસિડિટિનું દર્દ ઊભું કરે છે અને જેને એસિડિટિ હોય એમને એ વધારી આપે છે. એટલે કે ગુટખામાં ઘણાં તતત્વો એવા છે કે જે એસિડિટિની બીમારી કરે છે, અને પછી મેગ્નેશ્યમ કાર્બોનેટ જેવાં થોડાંક તતત્વો એસિડિટિ ઘટાડવામાં થોડોક ફાળો આપી શકે. ટૂંકમાં, લાફો મારીને 'સોરી કહેવા જેવી આ વાત છે. પહેલાં નુકસાન પહોંચાડવું અને પછી કહેવું કે અમે તો અમારી પ્રોડકટ (ઉત્પાદન) માં નુકસાન ઘટાડનારાં તતત્વો પણ રાખીએ છીએ!! વળી એન્ટાસિડ દવા તરીકે મેગ્નેશ્યમ કાર્બોનેટ કરતા ચડિયાતી બીજી અનેક દવાઓ છે. જો વધુ માત્રામાં મેગ્નેશ્યમ લેવામાં આવે તો લોહીમાં એનું પ્રમાણ વધી જાય છે અને પરિણામે મગજને શિથિલ બનાવી શકે છે. દર્દીની કિડની બરાબર કામ ન કરતી હોય તો આવું થવાની શકયતા ખૂબ વધી જાય છે.

ગુટખાની કંપનીઓ ત્રીજો એવો પ્રચાર કરે છે કે, ગુટખામાં તમાકુ અને નિકોટીનનું પ્રમાણ બીડી-સિગરેટ કરતાં ઓછું હોય છે. માની લઇએ કે આ દાવો સાચો છે તો એનાથી શું ફરક પડે છે? તમાકુ મૂળે જ ઝેર છે. આ ઝેર અડધો ટકો વધઘટમાં હોય એનાથી એની ઝેરી અસરમાં કોઇ ફરક નથી પડતો. તમાકુ ચાવો, સૂંઘો, ચગળો, ફૂંકો, ઘસો - ગમે તે રીતે વાપરો એની ઝેરી અસર તો થવાની જ છે. આજકાલ જે ઝડપે અને જે માત્રામાં ગુટખાનો વ્યાપ વધી રહ્યો છે અને નાના નાના બાળકો તથા સ્ત્રીઓમાં પણ જે રીતે એનો વપરાશ થઇ રહ્યો છે એવો વપરાશ આપણા દેશમાં કયારેય બીડી-સિગરેટનો થયો નથી.

દર વર્ષે ગણેશોત્સવ અને નવરાત્રીની ઉજવણી માટે કુલ પાંચ કરોડ રૂપિયાની જાહેરાતો ગુટખા કંપનીઓ આપે છે. ગણેશોત્સવ અને નવરાત્રીમાં સંકળાયેલ તરૂણો અને યુવાનો મંડપમાં નવરા બેઠા બેઠા ગુટખા ખાવાનું શરૂ કરે એ માટે જ આટલી ઉદારતા આવી કંપનીઓ દાખવે છે. આ સર્વવ્યાપી તમાકુ અને ગુટખાના રાક્ષસને હજી વધુ જોમ અને જુસ્સાથી જાકારો આપવો જરૂરી છે.

    7. તમાકુ છોડવાના ફાયદાઓ

- તમાકુ છોડયા પછી થોડા જ દિવસમાં સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતામાં વધારો થાય છે.
- મોંની ખરાબ એશ-ટ્રે જેવી વાસ દૂર થાય છે.
- આયુષ્ય રેખા વધે છે. તમાકુ છોડનારાઓનું સરેરાશ આયુષ્ય તમાકુ લેવાનું ચાલુ રાખનારાઓ કરતાં લાંબું હોય છે. પચાસ વર્ષની ઉંમર પહેલાં બીડી-સિગરેટ છોડી દેનાર વ્યક્તિની આવતાં પંદરવર્ષોમાં મૃત્યુ થવાની શકયતા બીડી-સિગરેટ પીવાનું ચાલુ રાખનારા કરતાં અડધી થઇ જાય છે.
- તમાકુ છોડયા પછી એક જ વરસમાં હ્રદયરોગ થવાની શકયતા અડધી થઇ જાય છે. તમાકુ છોડનારાઓને કેન્સર, હ્રદયરોગ, દમ કે પેરાલીસીસનો હુમલો આવવાની શકયતા ઘણી ઘટી જાય છે. દશ થી ચૌદ વર્ષ તમાકુમુક્ત રહ્યા પછી, આ રોગો થવાની શકયતા કદી તમાકુનું સેવન ન કરનારા જેટલી થઇ જાય છે.
- આર્થિક ફાયદાઓ - બચત વધે અને રોગો પાછળ થતા ખર્ચાઓ ઘટે.
- સામાજિક ફાયદાઓ - સામાજિક સ્વીકૃતિ અને પરિવારનું સ્વાસ્થ્ય સુધરે છે.
- તમાકુ છોડયા પછી શરીર પર થતી સારી અસરો

તમાકુ છોડયા પછી શરીર પર થતી સારી અસરો

૨૦ મિનિટ પછી -તમાકુથી વધી ગયેલબ્લડપ્રેશર અનેહ્રદયના ધબકારા ફરીપાછા નોર્મલ થઇજાય છે.
૧૨ કલાક પછી -શરીરમાંથી કાર્બનમોનોકસાઇડ અનેનિકોટીન જેવા ઝેરનુંપ્રમાણ ઘટે છે. શરીરમાંઓકિસજનનોપૂરવઠો વધે છે.
એક મહિનામાં -તમારી સ્વાદ અનેગંધ પારખવાનીશક્તિ અનેક ગણીવધી જાય છે, ફેફસુંઅને શ્વાસનળીઓખાંસી ખાઇને સાફથાય છે અને વધુતાજી હવા ફેફસામાંજઇ શકે છે. 
 
બે-ત્રણ મહિનામાં -ફેફસાનીકાર્યક્ષમતામાં ૩૦ ટકા જેટલો સુધારોથાય છે. શારીરિકશ્રમ કરવાની ક્ષમતાવધે છે. યુવાનીનોઅનુભવ. 
 
છ-નવ મહિનામાં -શ્વસનમાર્ગની સફાઇમાટે જરૂરી કોષો અનેસંરચનાઓનુંપૂન:નિર્માણ થાય છેજેથી ત્યાં ચેપલાગવાની શકયતાઘટે. 
 
એક વરસમાં -તમને હ્રદયરોગથવાની શકયતાઅડધી થઇ જાય છે.પેરાલિસિસ, ફેફસાં કેઅન્ય કેન્સરથી મૃત્યુથવાની શકયતાનોંધપાત્ર પ્રમાણમાંઘટે છે. 
પંદર વરસ પછી -કદી તમાકુ ન લીધુંહોય એટલું જ રોગોનુંજોખમ રહે છે. 

    8. તમાકુ કઇ રીતે છોડશો?

તમાકુનું વ્યસન છોડવું ઘણું જ કઠણ કામ છે મોટા ભાગના વ્યસનીઓ છોડવા ઇચ્છે છે પરંતુ તમાકુની ગુલામીમાંથી છૂટી શકતા નથી. આશરે એંશી ટકા વ્યસનીઓ જિંદગીમાં કયારેક ને કયારેક તમાકુ છોડવાનો પ્રયત્ન કરે છે. એક જ પ્રયત્ને તમાકુ કાયમ માટે બંધ થઇ ગયું હોય એવા કિસ્સા સોએ પાંચ જ જોવા મળે છે. મોટાભાગના સફળતાપૂર્વક તમાકુ છોડનાર વ્યક્તિઓ સંપૂર્ણ સફળતા મેળવતાં પહેલાં ત્રણથી ચાર વખત ટૂંકા સમય માટે તમાકુ છોડીને ફરી પાછા વ્યસની બન્યા હોય છે.

તમાકુ છોડનારાઓમાંથી ૯૦ ટકા કરતાં વધારે લોકો, પોતાની જાતે જ, બીજા કોઇની મદદ વગર તમાકુ છોડે છે. મોટાભાગના (૮૦ ટકા) લોકો એક ઝાટકે તમાકુનો વપરાશ સદંતર બંધ કરીને ત્રણ ચાર નિષ્ફળ પ્રયત્નો બાદ સફળ થાય છે. ધીમે ધીમે તમાકુનો વપરાશ ઘટાડતા જઇને તમાકુ છોડવાનું મોટાભાગના લોકોમાં શકય નથી બનતું.

તમાકુ છોડવા માટે સૌથી અગત્યની વસ્તુ એ વ્યક્તિની અંદરની ઇચ્છા અને એ માટેનું દ્દઢ નિષ્ચયબળ. વ્યક્તિને વિશ્વાસ હોય કે એ તમાકુ છોડી શકશે તો બીજું કોઇ એને અટકાવી શકતું નથી. આ કંઇ રાતોરાત થઇ જાય એવું જાદુઇ કામ નથી. એ એક પ્રક્રિયા છે અને દરેક વ્યક્તિને પોતાની પ્રકૃતિ મુજબ આ પ્રક્રિયામાં ઓછો વત્તો સમય લાગે છે. જે રીતે સાયકલ ચલાવવાનું કે ચાલવાનું શીખતાં શીખતાં વારંવાર પડી જવાય છે અને છતાં ફરી ઊભા થઇને ફરી શીખવા લાગીએ છીએ એમ જ તમાકુ છોડતાં છોડતાં વારંવાર નિષ્ફળતા મળી શકે છે અને છતાં દ્દઢ નિષ્ચય હોય તો છેવટની સફળતા મળે જ છે.

તમાકુમાં રહેલ નિકોટીન નામનું તતત્વ વ્યસન માટે જવાબદાર હોય છે. નિકોટીનની વ્યસન કરવાની ક્ષમતા દારૂ અને હેરોઇન જેવા ડ્રગ્સ કરતાં પણ વધુ છે એવું સાબિત થયું છે. જેવુ નિકોટીન મળવાનું બંધ થાય કે તરત જ ચેતા કોષો નિકોટીન મેળવવા માટે આકુળવ્યાકુળ થઇ જાય છે પરિણામે ચેતાતંત્રની કામગીરી સારી રીતે થઇ નથી શકતી. માણસ બેચેની અનુભવે છે, હાથ-પગ-માથું-શરીર દુ:ખે છે અને કામમાં ધ્યાન નથી આપી શકતો. પરંતુ, આ અસરો માત્ર એક કે બે અઠવાડિયાં જ રહે છે. જો તમાકુનો વ્યસની એક-બે અઠવાડિયાં ધીરજપૂર્વક થોડીક શારીરિક-માનસિક તકલીફો સહન કરીને નિષ્ચયપૂર્વક તમાકુ બંધ રાખે તો પછી કોઇ તકલીફ થતી નથી.

ઘણા અભ્યાસોથી જણાયું છે કે તમાકુના સો વ્યસનીમાંથી ૭૫ થી ૮૦ વ્યસનીઓ પોતાનું વ્યસન છોડી દેવાની ઇચ્છા ધરાવે છે અને આશરે ૨૫ જેટલા વ્યસન છોડવા માટે જોરદાર પ્રયત્ન પણ કરે છે. આમાંથી માત્ર પાંચેક ટકા વ્યક્તિ પહેલાં જ પ્રયત્ને સફળતાપૂર્વક વ્યસન છોડી શકે છે. મોટાભાગના વ્યસનીઓને તમાકુનું વ્યસન છોડવા માટે ત્રણથી ચાર વખત નિષ્ફળતા મળે છે. એટલે કે ત્રણ-ચાર વખત ગંભીર પણે પ્રયત્ન કરીને તમાકુ છોડયા પછી કોઇક નબળી ક્ષણે ફરી પાછું તમાકુનું વ્યસન શરૂ થઇ જાય છે. પરંતુ આ અંગે સતત પ્રયત્ન કરનારને છેવટે તમાકુ છોડવામાં કાયમી સફળતા મળે છે.

તમાકુનું વ્યસન છોડવું એ અઘરું છે પણ અશકય નથી. એ છોડવાની પ્રક્રિયા અનેક તબક્કાઓમાંથી પસાર થાય છે. સૌથી પહેલો તબક્કો તમાકુ છોડવા અંગેની પૂર્વભૂમિકાનો છે; એ પછીનો તબક્કો તમાકુમુક્તિની ધારણા (કોન્ટેમ્પ્લેશન)નો છે; ત્યાર બાદ તૈયારીનો તબક્કો અને છેલ્લે અમલીકરણનો તબક્કો આવે છે. પૂર્વભૂમિકાના તબક્કે દર્દીને મોટીવેશનની (તમાકુ છોડવા માટેના માનસિક બળની) જરૂર હોય છે. એ પછીના તબક્કે માહિતીની જરૂર હોય છે; ત્યાર બાદ કઇ રીતે તમાકુ છોડવું એનો કાર્યક્રમ તૈયારીમાં આવે અને છેવટે તમાકુ છોડવાની તારીખ નક્કી કરી એનો અમલ કરવાની જરૂર ઊભી થાય. આ દરેક તબક્કે વ્યસનીને માર્ગદર્શન, સહકાર અને હૂંફની જરૂર પડે છે. જેને કદી વ્યસન છોડવાનો વિચાર જ ન આવતો હોય એને વિચાર આવવા લાગે; જેને વિચાર આવતો હોય એ ગંભીરતાપૂર્વક વધુ માહિતી મેળવે; જેની પાસે માહિતી અને વિચાર છે તે પૂર્વતૈયારી કરતા થાય અને છેલ્લે અમલ કરે. આ દરેક તબક્ક્ માંથી આગળ વધવા માટે ડોકટરો, કુટુંબીજનો અને મિત્રો અગત્યનો ફાળો આપી શકે. એક વખત કહેવાથી વ્યસન બંધ નથી થઇ જવાનું પરંતુ વ્યસન છોડવાની પ્રક્રિયામાં એકાદ પગથિયું આગળ વધી શકાય.

જેમણે એક વખત તમાકુ છોડી દીધું હોય અને ફરી પાછું શરૂ કર્યું હોય એમને માટે ફરીથી તમાકુ છોડવા માત્ર પૂર્વતૈયારી અને અમલીકરણ બે જ તબક્કાની જરૂર પડે છે. ડોકટર તરફથી વારંવાર તમાકુ છોડવા માટે દરેક વ્યસનીને સલાહ આપવામાં આવે તો વ્યસનમુકત થનારાઓની સંખ્યા બમણી થઇ જાય છે એવું કેટલાક અભ્યાસોથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત, તમાકુનું ભારે વ્યસન ધરાવતા વ્યસનીઓને તમાકુ છોડવા માટે નિકોટીન રિપ્લેસમેન્ટ થેરપી અને અન્ય દવાઓ દ્વારા ડોકટરી મદદ ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. વૈજ્ઞાનિક અભિગમથી વર્ષો જૂનું વ્યસન પણ અઠવાડિયામાં છૂટી જાય છે.

    9. તમાકુ છોડવા માટે દવાઓ, નિકોટીન પેચ અને ચ્યુઇંગ-ગમ

તમાકુ છોડવાની દવાઓ કે નિકોટીન અને રિપ્લેસમેન્ટ થેરપી ચામડી પર લગાવવાના પેચ સ્વરૂપે, ચાવવાના ગમ સ્વરૂપે, નાકમાં છાંટવાના સ્પ્રે સ્વરૂપે, ચગળવાની ગોળી સ્વરૂપે કે સુંઘવાની દવાના સ્વરૂપે મળે છે. સિગરેટમાંથી મળતા કુલ નિકોટીન કરતાં ત્રીજા ભાગનું કે અડધા ભાગનું નિકોટીન આ દવાઓમાંથી મળે છે જેથી જે વ્યક્તિને ખૂબ ભારે વ્યસન હોય તેને વધુ પડતી શારીરિક કે માનસિક તકલીફો થતી નથી. ઘણા અભ્યાસોથી એવું જાણવા મળ્યું છે કે ભારે વ્યસન ધરાવનાર લોકોની તમાકુ છોડવાની શકયતા નિકોટીન દવા ધરાવતા પદાર્થ વાપરવાથી બમણી થઇ જાય છે.

શરૂઆતના અડતાલીસ કલાક જો તમાકુ વગર પસાર થઇ જાય તો સફળતાની શકયતા ખૂબ વધી જાય છે. આ સમય દરમ્યાન નિકોટીન આપીને વ્યસનીનું કામ સહેલું કરી શકાય છે ત્યાર બાદ વધુમાં વધુ આઠ અઠવાડિયાં નિકોટીન ધીમે ધીમે ઘટતા ડોઝમાં આપીને બંધ કરવું જરૂરી છે. નિકોટીનયુકત દવાનો ઉપયોગ સગર્ભાવસ્થા અને ખૂબ આગળ વધી ગયેલ હ્રદયરોગના દર્દીમાં સાચવીને કરવો જોઇએ.

તાજેતરમાં બુપ્રોપાયોન નામની ડિપ્રેશનની સારવાર માટે વપરાતી દવાને અમેરિકા તથા કેનેડામાં તમાકુ છોડવાની દવા તરીકે માન્યતા મળી છે. બુપ્રોપાયોન અને નિકોટીન બંને એક બીજાની તમાકુ છોડાવવાની અસરને વધારે છે તેમજ તમાકુ છોડવાથી ઘણાં લોકોમાં વજન વધી જવાની તકલીફ પણ થતી અટકાવે છે. અલબત્ત, આ દવા ભારતમાં અત્યારે મળતી નથી અને મળે તો પણ ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર એને વાપરી નથી શકાતી.

કલોનિડીન નામની હાઇબ્લડપ્રેશરની સારવારમાં વપરાતી દવા પણ તમાકુ છોડાવવા માટે અસરકારક જણાઇ છે પરંતુ, જે દર્દીને હાઇબ્લડપ્રેશર ન હોય એમને આ દવા આપવાથી બ્લડપ્રેશર ઘટી જવાથી માંડીને ઘણી બધી આડઅસરો થાય છે અને એટલે જ આ દવાનો ઉપયોગ વ્યાપકપણે થઇ શકતો નથી.

મોટાભાગના લોકોમાં તમાકુ છોડવા માટે કોઇ જાતની દવાની જરૂર નથી હોતી અને દ્દઢ મનોબળ જ તમાકુથી છૂટકારો મેળવવા માટે પૂરતું છે

મોટાભાગના લોકો એક ઝાટકે તમાકુનો વપરાશ સદંતર બંધ કરીને ત્રણ ચાર નિષ્ફળ પ્રયત્નો બાદ સફળ થાય છે.

    10. તમાકુ છોડવાનાં સરળ પગથિયા

(૧) તમા કુ છોડવાની તારીખ નકકી કરો. જયારે ખૂબ ટેન્શન ન હોય અને છતાં કામમાં ગુંથાયેલા હો એવો કોઇક દિવસ અગાઉથી નકકી કરી એ દિવસને વળગી રહો. એ દિવસે તમાકુનો સદંતર ત્યાગ કરવાનું નકકી રાખો-મનને એ રીતે તૈયાર કરો. 

(૨) ફરીથી તમાકુ ખાવાનું મન ન થાય એ માટે એની કોઇ પેદાશ પોતાની પાસે કે ઘરમાં રાખો નહીં ઘરમાં હાજર બધી પેદાશો - એશટ્રે - થૂંકદાની વગેરેને તિલાંજલિ આપી દો. 

(૩) પુષ્કળ પાણી પીઓ. તમાકુની તલપ લાગે ત્યારે પાણી પીઓ. જરૂર પડયે ડોકટરની સલાહથી નિકોટીન-યુકત દવા કે પેચનો વપરાશ કરો. થોડુંક માથું દુ:ખે કે ગળું બળે તો ખુશ થાઓ- એ દર્શાવે છે કે તમારું શરીર તમાકુની જીવલેણ પકડમાંથી છૂટી રહ્યું છે. તમાકુ છોડીને તમારો જીવ બચાવવાના લાભની સામે સામાન્ય માથું દુ:ખે કે હાથપગ દુ:ખે તો એ કંઇ મોટી વાત નથી. એક-બે અઠવાડિયામાં બધી જ શારીરિક તકલીફ નાબૂદ થઇ જશે અને તમારું શરીર તમાકુની પાશવી જાળમાંથી છૂટી જશે. 

(૪) કસરત કરો - ચાલવું-દોડવું, સાયકલ ચલાવવી, દોરડાં કૂદવાં જે ઇચ્છા પડે તે શરીર શ્રમની પ્રવૃત્તિ કરો. જેટલી વધુ કસરતો કરશો એટલી વધુ કરવાનું મન થશે અને તમે સ્વસ્થ રહેશો. 

(૫) હકારાત્મક વિચાર કરો. નિયમિત યોગાસન-ધ્યાન કરો. તમારા સ્વજનને કહી રાખો કે કદાચ તમે ચિડાઇ જાઓ તો શાંત રહે. સંતો, તથા તમને ગમતાં સ્વજનોને વારંવાર મળતા રહો એમની હૂંફ તમને કામ આવશે. તમારી સમસ્યા ખુલ્લા દિલે સ્વજનો સાથે ચર્ચતા રહો... 

(૬) રૂટીન કામકાજમાં કંઇક બદલાવ લાવો. દિવસની પહેલી બીડી-સિગરેટ કે ગુટખા જેની સાથે સંકળાયેલ હોય એ વસ્તુને રૂટીનમાં આગળ પાછળ કરી દો. કોફી-દારૂ પીનારાને જલદી બીડી-સિગરેટ યાદ આવે છે. માટે આ બંને વ્યસન પણ ઘટાડી દો. 

(૭) એક બીડી-સિગરેટ પણ ઘણી વધારે છે એ ભૂલશો નહીં. લાલચને કાબૂમાં રાખો. માત્ર એક જ સિગરેટ, આગના એક તણખલાની જેમ બધી મહેનત નકામી કરી નાંખે છે. એક જ સિગરેટ પીવાનો આગ્રહ કે લાલચ ન રાખો. એક સિગરેટ બીજી ઘણીને ઘુસાડશે. 

(૮) બીડી-સિગરેટ ન પીવાથી થતી બચતોથી તમારી જાત માટે તમને ગમતી વસ્તુ ખરીદો-માણો. છ મહિનાની બચત ભેગી કરી પ્રવાસનું આયોજન કરો. 
(૯) બીડી-સિગરેટ પીવાના સમયે કંઇક ખાવાનું મન થાય તો ફળો ખાવામાં લો. ફળો ખાવાથી સ્વાદ ગમશે અને વજન પણ નહિ વધે. 

(૧૦) એક તમાકુમુકત દિવસ એ એક સિદ્ધિ જ છે. આજનો દિવસ તમાકુમુકત ગયો એનો આનંદ થવો જોઇએ. કાલની અને બાકીની આખી જિંદગીની ચિંતા ન કરો. એક એક દિવસ કરતાં તમે કાયમ માટે તમાકુ છોડી શકશો.
http://jivanshaili.in/

No comments: