GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

બે અમેરિકી અને એક જર્મનને રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર

માઇક્રોસ્કોપથી પહેલા કરતા પણ વધારે સૂક્ષ્મ વિવરણને જોવાની નવી રીતને વિકસાવવા માટે અમેરીકાના બે અને જર્મનીના એક વૈજ્ઞાનિકને નોબલ પુરસ્કાર આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓપ્ટિલક માઇક્રોસ્કોપ ટેક્નોલોજીને નવી ઊંચાઈ પર પહોંચાડવાનાં મહત્ત્વપૂર્ણ સંશોધન માટે જર્મનીના સ્ટિફન ડબ્લ્યૂ હેલ અને અમેરિકાના એરિક બેટઝિગ તથા વિલિયમ મોએર્નરને વર્ષ ૨૦૧૪નું રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક અપાયું છે. સ્ટિફન હેલ જર્મનીના ગોટ્ટીનજેનસ્થિત મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોફિઝિકલ કેમેસ્ટ્રી, એરિક બેટઝિગ એશબર્નસ્થિત હોવર્ડ હ્યુજીસ મેડિકલ ઇન્સ્ટિટયૂટ અને વિલિયમ મોએર્નર સ્ટેનફોર્ડ યુનિર્વિસટીના સંશોધક છે. તેમણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ સમક્ષ રહેલા તમામ પડકારો દૂર કરી નેનોસ્કોપમાં તબદિલ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરતાં રોયલ સ્વિડીશ એકેડેમી ઓફ સાયન્સીઝે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી કેટલીક ધારી લીધેલી મર્યાદાઓને કારણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપીમાં વિકાસ થઇ રહ્યો નહોતો. એમ માનવામાં આવતું હતું કે તે ક્યારેય પ્રકાશની અડધી વેવલેન્થ કરતાં વધુ સારું રિઝોલ્યુશન પ્રાપ્ત કરી શકશે નહીં પરંતુ ૨૦૧૪ના રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતાઓએ ફ્લોરેસન્ટ મોલિક્યૂલ્સની મદદથી આશ્ચર્યજનક રીતે આ મર્યાદાઓ દૂર કરી હતી. તેમની આ અદ્વિતીય સિદ્ધિએ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપીને નેનો પરિમાણ આપ્યું છે. ત્રણેય વિજ્ઞાાનીઓને સુપર રિઝોલ્વ્ડ ફ્લોરેસેન્સ માઇક્રોસ્કોપીના વિકાસ માટે સન્માનિત કરાયા છે.

હવે વૈજ્ઞાનિકો નેનોસ્કોપ ટેક્નોલોજીની મદદથી જીવંત કોષમાં પરમાણુની નાનામાં નાની ગતિવિધિની માહિતી મેળવી શકે છે. ૧૮૭૩માં માઇક્રોસ્કોપિસ્ટ અર્નેષ્ટ એબ્બે પરંપરાગત ઓપ્ટિકલ માઇક્રોસ્કોપી માટે મહત્તમ રિઝોલ્યૂશન માટે મર્યાદા ઠેરવી હતી અને જણાવ્યું હતું કે તે ૦.૨ માઇક્રોમીટરથી વધુ આગળ ક્યારેય વધી શકશે નહીં. અમેરિકી વૈજ્ઞાનિકો બેટઝિગ અને મોએર્નર તથા જર્મન વિજ્ઞાન સ્ટિફન હેલને આ મર્યાદા પાર કરવા માટે વર્ષ ૨૦૧૪નું રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક અપાયું છે. તેમની આ સિદ્ધિને કારણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ નેનો વર્લ્ડમાં ડોકિયું કરી શકે છે. આ માટે બે અલગ અલગ સિદ્ધાંતોને સન્માનિત કરાયા છે.

વર્ષ ૨૦૦૦માં સ્ટિફન હેલ દ્વારા વિકસાવાયેલી સ્ટીમ્યુલેટેડ એમિશન ડિપ્લિશન માઇક્રોસ્કોપી(સ્ટેડ)ને સન્માનિત કરાઇ છે. અલગ અલગ સંશોધન કરતાં એરિક બેટઝિગ અને વિલિયમ મોએર્નરે બીજા સિદ્ધાંતનો પાયો નાખ્યો હતો. આ પદ્ધતિ વ્યક્તિગત પરમાણુની ફ્લોરેસન્સ ઓન-ઓફ કરવાની સંભાવના પર આધારિત છે. ૨૦૦૬માં એરિક બેટઝિગે પહેલીવાર આ પદ્ધિતનો ઉપયોગ કર્યો હતો. આજે નેનોસ્કોપીનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ થઇ રહ્યો છે. તેના દ્વારા દરરોજ માનવજાતના ઉત્કર્ષ માટેની નવી શોધો થઇ રહી છે.

૨૦૧૩માં જટિલ કેમિકલ સિસ્ટમ વિકસાવનાર ર્માિટન કારપ્લસ, માઇકલ લેવિટ્ટ અન એરિયેહ વારશેલને રસાયણશાસ્ત્રનું નોબેલ એનાયત થયું હતું. એ હકીકત છે કે આજના યુગમાં વૈજ્ઞાનિકો પ્રયોગો માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરી શકે છે જેને કારણે રસાયણ પ્રક્રિયાની ઊંડી સમજ મેળવવી સરળ બની છે. આજે રસાયણશાસ્ત્રમાં થતી તમામ શોધ માટે વાસ્તવિક જીવનનું પ્રતિબિંબ આપતાં કમ્પ્યુટર મોડલો ઘણા મહત્ત્વનાં બન્યાં છે. પહેલાના જમાનામાં રસાયણશાસ્ત્રીઓ પ્લાસ્ટિકના બોલ અને લાકડીઓની મદદથી મોલિક્યૂલનાં મોડલ તૈયાર કરતા હતા. આજે કમ્પ્યૂટરે આ કામગીરી અત્યંત સરળ બનાવી દીધી છે. ૧૯૭૦ના દાયકામાં ર્માટિન કારપ્લસ, માઇકલ લેવિટ્ટ અને એરિયેહ વારશેલે રાસાયણિક પ્રક્રિયાઓને સમજવામાં મદદરૂપ થતા શક્તિશાળી પ્રોગ્રામોનો પાયો નાખ્યો હતો.

SandeshNews

No comments: