GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

રઘુવર દાસે ઝારખંડના દસમા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા

રઘુવર દાસે ઝારખંડના દસમા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા

દાસ ઉપરાંત અન્ય ચારના કેબિનેટ પ્રધાનો તરીકે શપથ

નવી દિલ્હીમાં ધુમ્મસ હોવાથી અમિત શાહ અને મોદી રાંચી ન પહોંચી શક્યા


(પીટીઆઇ)    રાંચી,તા. ૨૮
ભાજપ નેતા રઘુવર દાસે આજે ઝારખંડના ૧૦માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં. ઝારખંડના ૧૪ વર્ષના ઇતિહાસમાં દાસ રાજ્યના પ્રથમ બિન આદિવાસી મુખ્યપ્રધાન બન્યા છે.  રાંચીના બરસી મુંડા ફુટબોલ સ્ટેડિયમમાં આયોજિત શપથગ્રહણ સમારંભમાં ઝારખંડના રાજ્યપાલ સૈયદ અહેમદે ૫૯ વર્ષીય દાસને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતાં.
રઘુવર દાસની સાથે ભાજપના નિલકંઠસિંહ મુંડા, ચંદ્રેસવર પ્રસાદ સિંહ, લૂઇસ મરાંડી તથા અજસુ પક્ષના ચંદ્રપ્રકાશ ચૌધરીએ પણ કેબિનેટ પ્રધાનો તરીકે શપથ લીધા હતા. મુખ્યપ્રધાન સહિત ઝારખંડમાં મહત્તમ ૧૨ કેબિનેટ પ્રધાનો બનાવી શકાય છે.  શપથગ્રહણ સમારંભમાં ભાજપ પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના હતા પરંતુ નવી દિલ્હીમાં સવારે ભારે ધુમ્મસને કારણે બંને નેતાઓ રાંચી જઇ શક્યા ન હતાં.
ભાજપના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ રઘુવર દાસ બાબુલાલ મરાંડી(એક વખત), અર્જુન મુંડા (ત્રણ વખત), શિબુ સોરેન(ત્રણ વખત), મધુ કોડા(એક વખત) અને હેમંત સોરેન(એક વખત) પછી ઝારખંડના દસમાં મુખ્યપ્રધાન બન્યા છે. ઝારખંડના ધારાસભ્યો દ્વારા રઘુવર દાસની સર્વાનુમતે પસંદગી કરવામાં આવ્યા પછી ૨૬ ડિસેમ્બરે તેમણે રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.  ઝારખંડના ૧૪ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પૂર્ણ બહુમતવાળી સરકાર બની છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૩૭ બેઠકો જ્યારે તેના ચૂંટણી પૂર્વેના સહયોગી અજસુને પાંચ બેઠકો મળી હતી.


ઝારખંડમાં બંધનું એલાન જ નહોતું !
ઝારખંડમાં પ્રથમ વખત બિન આદિવાસી રઘુવર દાસને મુખ્યપ્રધાન બનાવવાથી નારાજ આદિવાસીઓના કેટલાક સંગઠનોએ આજે બંધના એલાનની જાહેરાત તો કરી પણ રાજ્યમાં બંધ જેવું કંઇ હતુ જ નહીં. ઉલટાનો લોકોએ નવી સરકારના પહેલા કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રઘુવર દાસનો શપથગ્રહણ સમારંભ પણ શાંતિપૂર્વક પૂર્ણ થયો હતો. આદિવાસી સંગઠનોએ માગ કરી હતી કે ઝારખંડમાં આદિવાસીઓની સંખ્યા વધારે હોવાથી મુખ્યપ્રધાન પણ આદિવાસીને જ બનાવવામાં આવે.

No comments: